(સંજય પટેલ,જંબુસર)
ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કાવાભાગોળ પ્રાથમિક શાળા અને શ્રી હાજીકન્યા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ શુક્રવારે એસ.એન્ડ આઈ.સી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે જંબુસર-આમોદના ધારાસભ્ય ડી.કે.સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ બંને શાળાના એક કરોડ નેવું લાખના ખર્ચે નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમીષા શાહ, ભારતીય જનતા પાર્ટીના જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપ સિંહ યાદવ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ રોહિત, ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના ઉપપ્રમુખ અને તાલુકા સંઘના પ્રમુખ દિનેશભાઈ મકવાણા, જંબુસર તાલુકા ઘટક સંઘના મહામંત્રી શંકરભાઈ પઢીયાર, બી.આર.સી કોર્ડીનેટર અશ્વિનભાઈ પઢીયાર, સી આર સી કો.ઓર્ડીનેટર વિશાલભાઈ પટેલ, સમગ્ર જિલ્લા શિક્ષણ એન્જિનિયર જીગ્નેશભાઈ પટેલ, એસ.એમ.સી અધ્યક્ષ વૈશાલીબેન પ્રજાપતિ તથા રેણુકાબેન પઢીયાર,શાળા મેનેજમેન્ટ સમિતિના સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાવાભાગોળ પ્રાથમિક શાળાના આચાર્ય હરિસંગ સી. પરમાર અને શ્રી હાજીકન્યા પ્રાથમિક શાળાના આચાર્ય રાહુલકુમાર બી.મોરી સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં આ લોકાર્પણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનોજભાઈ રાણા તથા મિનાજ બેન પનારવાલાએ કર્યું હતું.
ધારાસભ્યએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ નવા આધુનિક મકાનો મળવાથી બાળકોને ઉત્તમ શિક્ષણ સુવિધાઓનો લાભ મળશે અને ભવિષ્યમાં જંબુસર તાલુકામાં શિક્ષણના સ્તરમાં સુધારો લાવવામાં આ પગલું નોંધપાત્ર યોગદાન આપશે.તથા સરકારી શાળામાં તમામ ધર્મના જ્ઞાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને વાતાવરણ પણ મળી રહે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું વિઝન છે 2047 માં ભારત વિશ્વ ગુરુ બનશે તો આ બાળકો દેશની સેવામાં હશે,સરકારી શાળાઓમાં શિક્ષણ સાથે સંસ્કાર રાષ્ટ્રભાવના મળતી હોય છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ સાથે આત્યાધુનિક સુવિધાઓ સાથે ઉચ્ચ શિક્ષણનો લાભ પણ મળે છે તો બાળકોને અભ્યાસ કરવા અપીલ કરી હતી.




