– ઘોષના તાલ સાથે, સંપૂર્ણ શિસ્ત સાથે નીકળેલા પથ સંચલન કાર્યક્રમનુ મુખ્ય આકર્ષણ રહ્યું હતું.
ભરૂચ,
ભરૂચ ખાતે પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભરૂચ શહેરના નર્મદા નગરનો વિજયા દશમી ઉત્સવનું ભવ્ય અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ પર્વનો મહિમા અને સંઘની સ્થાપના વિજયા દશમી જેને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે.જે ભારતીય સંસ્કૃતિમાં અધર્મ પર ધર્મનો વિજયનું પ્રતીક છે.આ પર્વ સત્ય, ન્યાય અને નૈતિકતાનું મહત્વ સમજાવે છે અને સાથે શક્તિની આરાધનાનું પાવન પર્વ પણ છે.
વિશેષ મહત્વની વાત એ છે કે વિજયાદશમિના દિવસે જ ૧૯૨૫ માં ડો. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી.સમગ્ર હિન્દુ સમાજનું સંગઠન કરીને રાષ્ટ્રની જે સર્વાંગી ઉન્નતિની જે ભગીરથ સાધના સંઘે શરૂ કરી છે તે વિજયા દશમીના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થયા. આ ઐતિહાસિક શતાબ્દી વર્ષનિમિતે ભરૂચના નર્મદા નગરના સ્વયંસેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
આ પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેર અને જીલ્લાભર માં આયોજન થતા સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.સંઘની પરંપરા મુજબ આ દિવસે પથ સંચલન યોજાયું હતું જે કાર્યક્રમનુ મુખ્ય આકર્ષણ રહ્યું હતું.
આ ભવ્ય પથ સંચલન ઝાડેશ્વર ગ્રામ પંચાયત કચેરીથી શરૂ થયું હતું. જે આલેખ રોડ, અંબાલાલ પાર્ક, માનસનગર રોડ થઈ ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. ઘોષના તાલ સાથે, સંપૂર્ણ શિસ્ત સાથે નીકળેલા આ સંચલનને જોવા માટે તેમજ ભગવા ધ્વજનુ સ્વાગત કરવા માટે દરેક સોસાયટી માથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા.
આમોદમાં ગત રોજ સાંજના સમયે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં RSS ના યુવાનો દ્વારા કદમથી કદમ મિલાવી ઘોષવાદન સાથે આમોદ નગરના મુખ્ય માર્ગો જેવા કે વણકરવાસ,કાછીયાવાડ, ઉભીશેરી, રાણાસ્ટ્રીટ, જનતાચોક,સરીપાપોળ,મચ્છી માર્કેટ,તિલક મેદાન,દિલાવર મંઝીલ જેવા વિસ્તારોમાં પથ સંચલન યોજાયું હતું.નગરજનો દ્વારા RSS ના યુવાનો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.ત્યાર બાદ પાર્ટી પ્લોટના વિશાળ પટાંગણમાં પરમ પવિત્ર ભગવા ધ્વજનું પૂજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષના અવસરે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર વેજલપુરમાં આવેલી વિવેકાનંદ પ્રભાત શાખા દ્વારા ભવ્ય વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું અધ્યક્ષસ્થાન વેજલપુર વિસ્તારના કિન્નર સમાજના અગ્રણી દીપાકુંવર માસીએ સ્વીકાર્યું હતું જે સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.વિધિવત રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. પથ સંચલન બાદ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.સ્વયંસેવકો દ્વારા અમૃતવચન, સુભાષિત, વ્યક્તિગત ગીત અને યોગના વ્યાયામનું પ્રાત્યક્ષિક રજૂ કરાયું હતું.
જંબુસર નગરમાં વિજયા દશમી ઉત્સવ નિમિત્તે આરએસએસ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં પથ સંચલન તથા પ્રકટ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.પથ સંચલનનું પ્રસ્થાન નવયુગ વિદ્યાલય મેદાનથી કરાયું હતું જે જંબુસર નગરના ટંકારી ભાગોળ, કાવાભાગોળ,લીલોતરી બજાર, ગણેશ ચોક, ઉપલીવાટ, કોટ બારણા, કંસારા ઢોર, ગામવાડી, રીંગરોડ થઈ પરત નવયુગ વિદ્યાલય મેદાન ખાતે પહોંચ્યું હતું. પથ સંચલનના માર્ગો પર ઠેર ઠેર પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું હતું અને જંબુસર નગરમાં રાષ્ટ્ર આરાધના જેવો માહોલ સર્જાયો હતો.આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા લોકો સંઘ દર્શન માટે ઉમટી પડ્યા હતા.પથ સંચલન બાદ પદ વિન્યાસ, દંડ, યોગ, સમતા, વ્યાયામ, ઘોષ સહિતના પ્રયોગો સ્વયંસેવકોએ રજૂ કર્યા હતા.







