(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચના વાલિયા નજીક આવેલ વટારીયા
ગણેશ સુગર ખાતે શેરડી પિલાણ સીઝન ૨૦૨૫-૨૬નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા, ડિરેકટર કિરણભાઈ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, જીતેન્દ્રસિંહ જાદવ, મેહુલકુમાર પટેલ, જયદીપસિંહ પરમાર, ઈ.મેનેજીંગ ડિરેકટર અમરસિંહ રણા, માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહીડા, સુરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ખેર, જયેન્દ્રસિંહ કઠવાડિયા, રાજુભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, આગેવાનો, અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા દ્વારા શુભ અવસરે પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી અને ઉપસ્થિત સૌ કોઈએ શ્રીફળ વધેરી શેરડી પિલાણનો પ્રારંભ કરાવ્યો હતો. ગણેશ સુગર ફેક્ટરી દ્વારા લાભ પાંચમના દિને પિલાણ કાર્ય શરૂ કરવાનું આયોજન હતું.પરંતુ કમોસમી વરસાદના કારણે તેમાં થોડો વિલંબ થવા પામેલ તેમજ મોટાભાગની સુગર મિલોને પણ પિલાણ શરૂ કરવામાં કમોસમી વરસાદની પરિસ્થિતિનો સામનો કરવો પડેલ છે.ગણેશ સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને ગત સીઝનના શેરડીના ફાઈનલ હપ્તાની ચૂકવણી પણ દિવાળી પહેલા સમયસર કરી દેવામાં આવી છે તેમજ સદર પિલાણ સીઝન માટે મજૂરો, ટ્રાન્સપોર્ટ, પ્લાન્ટ વિગેરેના કામોનું સંપુર્ણ આગોતરૂ આયોજન કરેલ છે.જેને અનુરૂપ ખેડૂતોની શેરડી કાપણી સમયસર થાય અને પિલાણમાં સરળતા બની રહે તથા ખેડુત સભાસદોના સાથ સહકારથી વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય એ માટે ખેડૂત અને સંસ્થા હિતમાં કસ્ટોડિયન કમિટી સતત પ્રયત્નશીલ છે.







