– નિવૃત્ત શિક્ષક પત્ની સાથે દિકરીના ઘરે ગયા તે દરમ્યાન તસ્કરો હાથ ફેરો કરી ગયા
(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જિલ્લાના નેત્રંગ નગર ખાતે મકાન બંધ કરીને દિકરીને ત્યાં ગયેલ વૃધ્ધ દંપતિના ઘરે રાત્રી ચોરો તાળુ તોડીને સોનાના દાગીના સહિત કુલ રૂપિયા ૨.૬૬ લાખની મત્તાની ચોરી ગયા હતા.જયારે ગાંધીબજાર ખાતે રહેતા એક કરિયાણાના વેપારીને નિશાન બનાવવાનો પણ તસ્કરોએ પ્રયત્ન કર્યો હતો પણ તેમાં સફળ થયા નહતા.
મળતી વિગતો મુજબ નેત્રંગ ખાતે જીન બજાર વિસ્તારમાં રહેતા નિવૃત્ત શિક્ષક રણછોડભાઈ ભગુભાઈ વસાવા ગત તા.૯ મીના રોજ મકાન બંધ કરીને પત્ની સાથે ભરૂચ દિકરીને ત્યાં ગયા હતા.ત્યાર બાદ તા.૧૪ મીના રોજ તેમના ઘરે દુધ આપવા આવતા ભાઈએ મકાનનું તાળું તુટેલું જોતા રણછોડભાઈના પાડોશીને જાણ કરતા પાડોશીએ રણછોડભાઈને ફોન પર તેમના મકાનનું તાળું તુટ્યું હોવાનું જણાવ્યું હતું.આ બાબતની જાણ થતા ભરૂચ ગયેલા રણછોડભાઈ અને તેમના પત્ની નેત્રંગ પાછા ફર્યા હતા અને ઘરમાં જઈને જોતા કબાટો તુટેલા જણાયા હતા,કબાટના ખાનાઓમાં તપાસ કરતા તેમાં મુકેલ સોનાની વિટી નંગ ૨, સોનાનું મંગળસૂત્ર નંગ ૧ ,સોનાનો ગળામાં પહેરવાનો સેટ નંગ ૧,સોનાની બુટ્ટી નંગ ૨ મળી રૂપિયા ૨,૪૧,૩૪૬ ની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા ૨૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૬૬,૩૪૬ ની મત્તાની ચોરી થયેલ હોવાનું જણાયું હતું.ચોરીની આ ઘટના સંદર્ભે મકાનમાલિક રણછોડભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં તા.૨૧ ના રોજ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.







