ભરૂચ,
અંકલેશ્વરના દઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત પ્રસંગે કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે હાજરી આપી હતી.આ દરમ્યાન તેઓએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં AAPનું કોઈ સ્થાન નથી,અહીં ભાજપ અને કોંગ્રેસ જ બે મુખ્ય પક્ષો છે.
મર્હુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતેના દઢાલ ગામમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત ગુરુવારના રોજ સાંજના સુમારે લીધી હતી.આ કોમ્યુનિટી હોલનું નિર્માણ મર્હુમ સાંસદ અહેમદ પટેલના આર્થિક સહયોગથી ટાઈગરતીહ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.આ હોલનું લોકાર્પણ આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમ દરમ્યાન તેમણે પ્રદેશ રાજકારણ, સામાજિક મુદ્દાઓ અને આગામી ચૂંટણીઓ અંગે નિવેદનો આપ્યા હતા.ફૈઝલ પટેલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના તાજેતરના દારૂ અને ડ્રગ્સ વિરોધી નિવેદનને સમર્થન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે જીગ્નેશ મેવાણી તેમના નજીકના મિત્ર છે અને એક ક્રાંતિકારી નેતા છે,તેમના જેવું નિર્ભય કામ આખી કોંગ્રેસ પણ કરી શકતી નથી.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધીના સિદ્ધાંતો ધરાવતું રાજ્ય છે અને દારૂ-ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવો એ સમયની માંગ છે.આમ આદમી પાર્ટી અંગે ફરીથી નિવેદન આપતા ફૈઝલ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં AAPનું કોઈ ભવિષ્ય નથી,કારણ કે ગુજરાત ભાજપ અને કોંગ્રેસનો ગઢ રહ્યું છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે.







