best news portal development company in india

ઝઘડિયાની બ્રિટાનિયા કંપની દ્વારા ચાર કામદાર આગેવાનો વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરાતા ચકચાર!

SHARE:

– પોલીસ ફરિયાદમાં કરાયેલ આક્ષેપો જુઠા હોવાનું કામદાર આગેવાન દ્વારા જણાવી કામદારોનો અવાજ દબાવવા ફરિયાદ કરી હોવાની લાગણી વ્યક્ત કરી

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીના કામદારો તેમની કેટલીક માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે.ત્યારે કામદારોના આંદોલનને ૪૨ દિવસ વિતવા છતાં કંપની સંચાલકો કોઈ વાતે સમાધાનકારી વલણ અપનાવવા આગળ નથી આવતા એ વાતને લઈને ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના કામદારો દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે કંપની સામે હડતાળનો આસરો લેતા કંપની સંચાલકો વળતો પ્રહાર કરવા આગળ આવતા હોય એમ કંપનીના ફેકટરી મેનેજર અનુરાગકુમાર શુક્લા દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં આંદોલનકારી ચાર કામદાર અગ્રણીઓ સામે ફરિયાદ કરવામાં આવતા બ્રિટાનિયા કામદાર આંદોલનમાં આજે નવો વળાંક જોવા મળ્યો હતો. મળતી વિગતો મુજબ કંપનીના મેનેજર દ્વારા કામદાર યુનિયનના ચાર અગ્રણીઓ (૧) બ્રિટાનિયા મજદુર સંઘ ઝઘડિયાના પ્રમુખ ઈશ્વરભાઈ રાયસિંગભાઈ વસાવા રહે.કોયલીમાંડવી તા.નેત્રંગ (૨)જનરલ સેક્રેટરી શાંતિલાલ રમેશભાઈ ચૌધરી રહે.મિરાપુર તા.વાલિયા (૩) ઉપપ્રમુખ સુરેશભાઈ બાબુભાઈ વસાવા રહે.ભદાલી ગામ તા.ઝઘડિયા તેમજ (૪) ટ્રેઝરર દિપકકુમાર વિનોદચંદ્ર વાઘેલા રહે.તોથીદરા ભાલોદ તા.ઝઘડિયાના વિરુધ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં કરાયેલ ફરિયાદમાં જણાવાયું હતું કે કંપનીના કર્મચારીઓ તા.૨૪-૩-૨૦૨૫ થી પગાર વધારા માટે હડતાળ પર છે.ગતરોજ તા.૨ જીના રોજ કંપનીમાં નોકરી કરતા કૈલાશચંદ્ર ક્વોલિટી મેનેજર, મલાઈ કાપડીયા મેન્ટેનન્સ મેનેજર,વિપલા સુરાના ફાઇનાન્સ મેનેજર તેમજ સિક્યુરિટી કર્મચારી  વિ.માણસો કંપનીમાં હાજર હતા.ત્યારે ઉપરોક્ત ચાર કામદાર આગેવાનો અન્ય ૮૦ થી ૧૦૦ જેટલી વ્યક્તિઓ સહિત કેટલાક રાજકીય માણસો સાથે કંપનીના ગેટની બહાર ગેરકાયદેસર રીતે ભેગા થઇને અમારી રજુઆત કેમ સાંભળતા નથી,એમ કહીને કંપનીના પરિસરમાં ગેરકાયદેસર રીતે ઘુસી જઇને ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઉભુ કર્યું હતું,અને ટોળામાંના કેટલાક લોકો ટાંટિયા ભાંગી નાંખવાની ધમકી આપતા હતા.

જોકે આ બાબતે બ્રિટાનિયા મજદુર સંઘ ઝઘડિયાના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાનો ટેલિફોિનિક સંપર્ક કરતા તેમણે પોલીસ ફરિયાદમાં તેમના વિરુધ્ધ કરાયેલ આક્ષેપો જુઠા હોવાનું જણાવી આ વાત કામદારોનો અવાજ દબાવવા ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.વળી તેમણે આ બાબતે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે પોલીસ ફરિયાદમાં ૨ જી તારીખનો ઉલ્લેખ કરીને કંપનીના જે અધિકારીઓના નામો વર્ણવીને તેઓ કંપનીમાં હાજર હતા તેમ જણાવાયું છે. તેમાંના કેટલાક હાજર હતા જ નહિ.ત્યારે હવે અહિંયા એક શંકાસભર સવાલએ પણ ઉભો થાય છે કે કંપની દ્વારા કામદાર અગ્રણીઓ વિરુધ્ધ કરવામાં આવેલ પોલીસ ફરિયાદમાં વજુદ કેટલું ?! કે પછી કામદારોનો અવાજ દબાવવા તો કંપની સંચાલકો દ્વારા વળતા પ્રહારના રૂપમાં પોલીસ ફરિયાદનો આસરો તો નથી લેવાયો ને? જોકે કામદારો દ્વારા તેમની માંગણી સંદર્ભે ચલાવાતા આંદોલનને ૪૨ દિવસ વિતવા બાદ પણ કંપની દ્વારા કામદારો સાથે સકારાત્મક ભુમિકા નથી અપનાવવામાં આવી તે આપણી કહેવાતી  લોકશાહીનું એક નકારાત્મક પાસું ગણી શકાય ! ઝઘડિયા જીઆઈડીસીમાં કાર્યરત ઔદ્યોગિક કંપનીઓનું બનેલ જીઆઈડીસી એસોસિએશન છે,જોકે આજના તબક્કે બ્રિટાનિયા કંપની જીઆઈડીસી એસોસિએશનનો સભ્ય છેકે કેમ તે બાબતે ચોક્કસપણે કહી શકાય તેમ નથી,કારણકે એક વિગત મુજબ બ્રિટાનિયા કંપનીએ જીઆઈડીસી એસોસિએશનના સભ્ય તરીકે ભરવાપાત્ર રકમ ત્રણ વર્ષથી ભરી નથી ! ત્યારે જીઆઈડીસી એસોસિએશન કામદારો અને કંપની વચ્ચે મધ્યસ્થીની ભુમિકા કઈ રીતે અપનાવી શકે?! જોકે હાલતો બ્રિટાનિયા કંપનીના કામદારોની છેલ્લા ૪૨ દિવસથી ચાલી રહેલ હડતાળને લઈને આ વાત સમગ્ર પંથકમાં ચર્ચામાં આવી છે.જોકે કંપની સંચાલકો કંપનીમાં વર્ષોથી કામ કરતા કામદારોના વિશાળ હિતમાં કોઈ નક્કર સકારાત્મક ભુમિકા અપનાવવા આગળ આવે તે ઈચ્છનીય છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!