ભરૂચ,
ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગથી તથા જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત આયોજન સચ્ચિદાનંદ શાળા ખાતે ખાતે યોજાયેલ નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.આ કેમ્પમાં ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારો માંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આંખની તપાસનો લાભ લીધો હતો.
કેમ્પ દરમ્યાન આધુનિક SICS (સ્ટીચલેસ) ટેકનિક દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમ્યાન જેમને મોતિયાની સમસ્યા હોવાનું નિદાન થયું છે તે તમામ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે.તેમજ જેમને વેલ (પાંપણ/આંખની અન્ય સમસ્યા)ની જરૂરિયાત છે તેમના માટે પણ નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.ડોક્ટર તરીકે સ્નેહલ સોઢીયા અને નવલસિંહ રાઠવા એ સેવા આપી હતી.
આ ઉપરાંત જેમને આંખના નંબર હોવાનું જાણવા મળ્યું છે તે તમામ દર્દીઓને ચશ્મા પણ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવ્યા હતા.આ સેવાઓ દ્વારા આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળી હતી.
આંખના આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ કેમ્પને મળેલ ઉત્સાહજનક પ્રતિસાદ બદલ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી અને જન સૃષ્ટિ ટ્રસ્ટના ઈશ્વર પરમાર દ્વારા તમામ સહયોગીઓ, ડૉક્ટરો અને હાજર રહેલ નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.







