– કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે મદદનીશ કલેકટર પરસનજીત કૌર સહિત સંબંધિત અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી તા. ૧૧ જાન્યુઆરી, રવિવારના રોજ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬”નું ભવ્ય આયોજન સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે થનાર છે. આ કાર્યક્રમનાં પૂર્વ તૈયારીના સુચારૂ આયોજનના ભાગરૂપે આજરોજ મદદનીશ કલેકટર તથા કાર્યક્રમના નોડલ અધિકારી પરસનજીત કૌર સહિત સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકત દરમ્યાન પરસનજીત કૌરએ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક થાય તે હેતુથી સંબંધિત અધિકારીઓને સોંપાયેલ કામગીરી અંગે સ્થળ પર જ વિસ્તૃત ચર્ચા કરી હતી.જેમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય તેમજ દેશભરમાંથી આવનાર પતંગબાજો માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્ટોલની ગોઠવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તથા આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા.
સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૨૧ દેશોના ૪૫ તેમજ ગુજરાત સહિત ભારતના ૩૪ મળીને કુલ ૭૯ પતંગબાજો ભાગ લેશે. આ તમામ પતંગબાજો દ્વારા એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશી સુંદર દૃશ્ય સર્જાશે, જે પ્રવાસીઓ અને નાગરિકો માટે વિશેષ આકર્ષણ બનશે.







