ભરૂચ,
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે 67 વિકાસ કાર્યોને સત્તાપક્ષે મંજૂરી આપવામાં આવતા માત્ર એક મિનિટમાં સભા પૂર્ણ કરી દેવામાં આવતા વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા.
અંકલેશ્વર નગરપાલિકા મહિલા પ્રમુખ લલિતા રાજપુરોહિત અને તેમના પતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ કોંગ્રેસે તેઓના રાજીનામા સાથે ભ્રષ્ટાચારની તપાસ થાય તે માટે આંદોલન છેડ્યું હતું.જે બાદ મહિલા પ્રમુખે પોતાનું આરોગ્ય સારું ન હોવાના બહાના હેઠળ ઉપપ્રમુખને પ્રમુખનો ચાર્જ સોંપ્યા બાદ પહેલી સભા યોજાઈ હતી.કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવે તે પહેલાં જ સત્તાપક્ષે બહુમતીના જોરે વિકાસ કાર્યોને મંજૂરી આપી સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી અને વિપક્ષને પોતાની વાત રજૂ કરવાની પણ તક મળી ન હતી.
કોંગ્રેસના નેતા રફીક ઝઘડિયાવાલાએ આ ઘટનાને “લોકશાહીની હત્યા” ગણાવી હતી.તેમણે જણાવ્યું કે ED, IT અને પોલીસના દબાણથી સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે.વિપક્ષી નેતા જહાંગીર પઠાણે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ભ્રષ્ટાચાર અંગેની વાતો સાંભળ્યા વિના જ સભ્યોને રવાના કરી દેવામાં આવ્યા છે જે ગુંડાગર્દી સમાન છે.તેમણે આ મુદ્દે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
વાયરલ ઓડિયો ક્લિપ બાદથી નગરપાલિકામાં રાજકીય તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.આ સમગ્ર મામલો હવે કાનૂની લડાઈ સુધી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.




