– ભરૂચની દીકરીએ હરિયાણામાં તાલીમ પૂર્ણ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું
ભરૂચ,
હરિયાણાના કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર ગીતા જ્ઞાન સંસ્થાન ખાતે આયોજિત ૭મા રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમ કાર્યક્રમમાં ભરૂચની ધારા જાદવે સહભાગી થઈને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ‘યોગાસન ભારત’ દ્વારા વિશ્વ યોગાસનના નેજા હેઠળ આ તાલીમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.તા.૧૩ થી ૧૭ માર્ચ દરમ્યાન યોજાયેલા આ પંચદિવસીય રાષ્ટ્રીય કક્ષાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ૨૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ ૧૨૦ તાલીમાર્થી ન્યાયાધીશોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યોગાસન ક્ષેત્રે નિષ્પક્ષ અને કુશળ ન્યાયાધીશો તૈયાર કરવાનો હતો.ભરૂચની ધારા જાદવે આ તાલીમ યોગાસન ભારતના મહામંત્રી ડૉ. જયદીપ આર્ય, યોગાસન ભારત અને ગુજરાત યોગાસન સહાયક સંઘના પ્રમુખ ઉદિત શેઠ તેમજ મહામંત્રી ઉમંગ ડોનના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.આ સફળતા બદલ યોગ ક્ષેત્રના અગ્રણીઓ અને ભરૂચના રમતગમત જગત દ્વારા ધારા જાદવને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરની યોગાસન સ્પર્ધાઓમાં તેઓ ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી શકશે.




