ભરૂચ,
સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન વૈદિક પરંપરા મુજબ શ્રાવણી પૂર્ણિમા અર્થાત રક્ષાબંધનના પવિત્ર અવસરે ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત શક્તિનાથ મહાદેવના પટાંગણમાં આવેલા સત્સંગ ભવન ખાતે શ્રાવણી પ્રયોગ યોજાયો હતો.આજરોજ શ્રાવણની પૂનમ નિમિત્તે શહેરના ૪૧ થી વધુ ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વિશેષ પૂજન-અર્ચન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત (જનોઈ) ધારણ કરી હતી.
હિન્દુ સંસ્કૃતિમાં જનોઈના ત્રણ દોરા અને નવ તાર એ દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણના પ્રતીકરૂપ છે,જે આંતરિક શુદ્ધિ અને દીક્ષા સંસ્કાર દર્શાવે છે.આ સમગ્ર ધાર્મિક વિધિના માધ્યમથી દ્વિજ સમુદાય દ્વારા અગાઉના વર્ષ દરમિયાન થયેલી અજાણતાની ભૂલોના પ્રાયશ્ચિત સાથે પવિત્રતાનું ગ્રહણ કરવામાં આવે છે.
આજે યોજાયેલા આ પવિત્ર ધાર્મિક અનુષ્ઠાનમાં આચાર્ય શિવમભાઈ જોશી દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે શ્રાવણી પ્રયોગ સંપન્ન કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પિયુષભાઈ પુરોહિતે શ્રાવણી પ્રયોગના આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી, જેમાં ઉપાકર્મ વિધિના પાલન અને વૈદિક પરંપરાના જતન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ભરૂચના ભૂદેવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ધાર્મિક આયોજનથી સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.




