સુરત ખાતે હાઈકોર્ટની એડિશનલ બેંચ શરૂ કરવા દક્ષિણ ગુજરાતના વકીલોનું મહાસંમેલન યોજાયું : ૧૧મી સપ્ટેમ્બરે રાજયના તમામ બાર એસોસિએશનો ઠરાવ કરશે

SHARE:

સુરત,

દક્ષિણ ગુજરાતના નાગરિકો અને વકીલોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી લાંબા ન થવું પડે તે હેતુથી સુરત ખાતે ગુજરાત હાઈકોર્ટની કાયમી એડિશનલ બેંચ ફાળવવાની વર્ષો જૂની માંગ ફરી બુલંદ બની છે. તારીખ ૬ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ કામરેજ તાલુકાના બોરથાણા સ્થિત ‘વાટિકા રિસોર્ટ’ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં બાર કાઉન્સિલના નવનિર્વાચિત સભ્યો હરેશભાઈ નાકરાણી, હિતેશભાઈ પટેલ, ભાવેશભાઈ રબારી, ઝકીભાઈ શેખ, પ્રીતિબેન જોશી, હિરલબેન પાનવાલા, પ્રવીણભાઈ પટેલ અને વંદનાબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લા તેમજ તાલુકા કોર્ટના પ્રમુખ, પ્રતિનિધિઓ અને સિનિયર ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

સભામાં ઉપસ્થિત તમામ ધારાશાસ્ત્રીઓએ એકસૂરે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના હજારો પક્ષકારો અને વકીલોને સામાન્ય કેસોની સુનાવણી માટે પણ અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. જેના કારણે સમય, શક્તિ અને નાણાંનો મોટો વ્યય થાય છે.લાંબા સમયથી ચાલી રહેલી વ્યાજબી માંગણી છતાં સત્તાવાળાઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી.જેથી ચૂંટાયેલી નવી બોડીના નેતૃત્વ હેઠળ સુરત ખાતે તાત્કાલિક ધોરણે હાઇકોર્ટની એડિશનલ બેંચ શરૂ કરવા માટે આંદોલન છેડવાનો નિર્ધાર કરાયો છે.

આ બાબતે ૧૧મી સપ્ટેમ્બરે ઉચ્ચ સ્તરે ઠરાવ મોકલાશે,

સંમેલનમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો કે આગામી તારીખ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દક્ષિણ ગુજરાતના તમામ વકીલ મંડળો (બાર એસોસિએશનો) એક જ દિવસે પોતપોતાની સામાન્ય સભા બોલાવી સુરત બેંચની માંગ કરતો ઠરાવ પસાર કરશે.

આ ઠરાવ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, ગુજરાતના રાજ્યપાલ તેમજ રાજ્યના કાયદા મંત્રી સહિત સંબંધિત તમામ ઉચ્ચ વિભાગોને લેખિતમાં મોકલી આપવામાં આવશે.જ્યાં સુધી સુરત ખાતે હાઈકોર્ટની એડિશનલ બેંચ મંજૂર ન થાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો યોજી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની મક્કમ જાહેરાત કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!