(ગણપત મકવાણા,પંચમહાલ)
જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રનની સહયોગી સંસ્થા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા બાળ લગ્ન સમાપ્ત કરવા માટે વૈશ્વિક આંતધર્મીય અભિયાન તા.૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ થી તા.૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ચાલી રહ્યું છે.આ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાવાગઢ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે બાળ લગ્ન એક અપરાધ છે.બાળપણ એ શીખવા, રમવા, વિકાસ કરવા અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું તબક્કો છે.તેથી શિક્ષણ પૂર્ણ થયા બાદ અને પરિપક્વતા પ્રાપ્ત થયા પછી જ લગ્ન થવા જરૂરી છે. તેમણે જાહેર જનતાને અપીલ કરતાં કહ્યું કે બાળકોના અધિકારોની રક્ષા કરવી તમામ ધર્મોના વ્યક્તિઓની સામૂહિક જવાબદારી છે અને કાયદાની જોગવાઈ મુજબ જ લગ્ન કરાવવા જોઈએ.
આ અભિયાન અંતર્ગત જિલ્લાના ૨૦ થી વધુ વિવિધ ધર્મના પવિત્ર સ્થળોમાં ધર્મગુરુઓ દ્વારા બાળ લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને તે સાથે વિવિધ ક્ષેત્રોમાં બેનર મુકીને સ્થાનિક લોકોને બાળ લગ્નના કરાવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
ધર્મગુરુઓ, પુરોહિતો, મોલવીઓ તથા પાદરીઓ દ્વારા એક સહમત થઈ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનને એક સાથે સમર્થન જાહેર કરી આ અભિયાન દ્વારા સમાજના તમામ વર્ગોને એક સંદેશો આપવામાં આવ્યો કે બાળકોનું બાળપણ જાળવવું એ સૌની ફરજ છે અને બાળ લગ્નોને અંત આપવો એ સૌનો સંકલ્પ છે.







