ભરૂચ,
ભરૂચ તાલુકાના કારેલાં-પાદરીયા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક નીલગાય અચાનક ખાબકી પડતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી.જોકે આસપાસના ગામના જાગૃત નાગરિકોની સમયસૂચકતા અને ભારે જહેમતના કારણે નીલગાયનો જીવ બચી ગયો હતો.નિલ ગાય કેનાલમાં ખાબકી હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થયા હતા. નીલગાય કેનાલમાં ફસાયેલી હોવાથી તેને બહાર કાઢવાનું કામ પડકારજનક હતું.જોકે ગ્રામજનોએ એકબીજાના સહકારથી અને યુક્તિપૂર્વક નીલગાયને સુરક્ષિત રીતે કેનાલ માંથી બહાર કાઢી હતી. નીલગાયને બહાર કાઢવામાં આવ્યા બાદ તેને ફરીથી તેના કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી.ગ્રામજનોની આ માનવતાભરી અને સમયસરની કાર્યવાહીથી એક નિર્દોષ પશુનો જીવ બચી ગયો હતો.જેણે પશુઓ પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો પરિચય કરાવ્યો છે.આ ઘટનાએ સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જન્માવી છે અને તેમના આ પ્રયાસની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે.







