ભરૂચ,
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી પાસે ગતરોજ ગુરુવારની મોડી રાત્રે 11:30 વાગ્યાની આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. એક હાઈવા ટ્રક કાર પર પલટી જતાં કારને ભારે નુકસાન થયું હતું.જોકે, કારમાં સવાર દંપતીનો સુરક્ષિત બચાવ થયો હતો.અકસ્માત બાદ કારમાં સવાર મહિલા હેમખેમ બહાર નીકળી આવી હતી, પરંતુ કારચાલક કાટમાળમાં ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી.ક્રેનની મદદથી આશરે દોઢ કલાકની જહેમત બાદ કારચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.રેસ્ક્યુ ટીમની સમયસર કામગીરીને કારણે બંનેના જીવ બચી શક્યા હતા.
અકસ્માતમાં દંપતીને સામાન્ય ઇજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.







