– રઝલવાડા ગામનો રહીશ રાજપારડીથી પાછો ઘેર ફરતો હતો તે દરમ્યાન કદવાલી ગામ નજીક અકસ્માત થયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે વધતા જતા અકસ્માતોએ તાલુકાની જનતામાં ચિંતા જન્માવી છે.તાલુકા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર છાસવારે નાનામોટા અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવી રહી છે.કેટલાક અકસ્માતોમાં પોલીસ ફરિયાદો નહિ થતી હોઈ આવા અકસ્માત પ્રકાશમાં નથી આવતા. અકસ્માતની એક અન્ય ઘટનામાં રાજપારડી નજીકના કદવાલી ગામ પાસે એક શેરડી ભરેલ ટ્રેકટરના ચાલકે એક મોટર સાયકલને અડફેટમાં લેતા ઈજાગ્રસ્ત થયેલ મોટર સાયકલ ચાલકને સારવાર માટે અંકલેશ્વર લઈ જવાયો હતો.
રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામે રહેતા વિલિયમભાઈ ભાવસિંગભાઈ વસાવા નામના ૫૦ વર્ષીય રહીશ ટ્રકમાં ડ્રાઈવર તરીકેની નોકરી કરે છે. તેઓ તા.૧૭ મીના રોજ સવારના સમયે તેમની મોટર સાયકલ લઈને રાજપારડી ગયા હતા.ત્યાર બાદ કામ પતાવીને તેઓ સાંજના રાજપારડીથી પાછા ફરતા હતા તે દરમ્યાન સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં કદવાલી ગામ નજીક સામેથી આવતા એક શેરડી ભરેલ ટ્રેકટરે તેમની મોટર સાયકલને અડફેટમાં લેતા તેઓ મોટર સાયકલ સહિત નીચે પડી ગયા હતા.આસપાસના માણસોએ દોડી આવીને તેમને ઉભા કર્યા હતા.આ અકસ્માતમાં વિલિયમભાઈને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે અંકલેશ્વર લઇ જવાયા હતા.અકસ્માત બાદ ટ્રેકટર ચાલક તેનું ટ્રેકટર સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો.ઘટના સંદર્ભે રાજપારડી પોલીસે અકસ્માત કરી સ્થળ ઉપરથી નાશી ગયેલ ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.







