સૌજન્ય,
બનાસકાંઠાના અંબાજી માંથી મળતો વિશ્વવિખ્યાત સફેદ આરસપહાણ હવે વૈશ્વિક સ્તરે પોતાની અનોખી ઓળખ સાથે ઝળહળી ઊઠ્યો છે.ભારત સરકાર દ્વારા અંબાજી માર્બલને ‘જી.આઈ. ટેગ’ (Geographical Indication) આપવામાં આવતા, સ્થાનિક માર્બલ ઉદ્યોગમાં ખુશીની લહેર દોડી છે.આ ટેગથી હવે અન્ય કોઈ પણ વિસ્તારનો પથ્થર ‘અંબાજી માર્બલ’ના નામે વેચી શકાશે નહીં, જેના કારણે સ્થાનિક વેપારીઓને કાયદાકીય સુરક્ષા મળશે અને ગ્રાહકોને શુદ્ધ ગુણવત્તાનો વિશ્વાસ મળશે.શક્તિપીઠ અંબાજીની આ પવિત્ર ધરાને મળેલી આ માન્યતા હજારો કારીગરોના જીવનમાં આર્થિક સ્થિરતા અને નવી આશા લાવશે.
અંબાજીનો સફેદ આરસપહાણ પોતાની મજબૂતી, ટકાઉપણું અને દૂધ જેવી શ્વેત ચમક માટે સમગ્ર દેશમાં વિશેષ ઓળખ ધરાવે છે. જી.આઈ ટેગ મળતા જ આ કુદરતી સંપદાને વૈશ્વિક બ્રાન્ડ વેલ્યુ મળી છે.આ માન્યતા કારણે બજારમાં અંબાજી માર્બલની માંગ વધશે અને નકલી ઉત્પાદનો સામે સ્થાનિક ઉદ્યોગને મજબૂત કાયદાકીય રક્ષણ મળશે.
માર્બલ ક્વોરીંગ, કટિંગ અને પ્રોસેસિંગ સાથે સંકળાયેલા હજારો પરિવારો માટે આ નિર્ણય આશીર્વાદ સમાન છે.જી.આઈ ટેગના પ્રતાપે અંબાજીની મૂર્તિકળા અને પરંપરાગત હસ્તકળાને નવી ઓળખ મળશે, જેના કારણે શ્રમિકો અને મધ્યમ વર્ગના પરિવારોને સ્થિર રોજગારી મળશે. સાથે જ, પ્રવાસન ક્ષેત્રે વધતી આવક સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂતી આપશે.
અંબાજી મંદિર સહિત અનેક ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થાપત્યોના નિર્માણમાં અંબાજી માર્બલનું વિશેષ યોગદાન રહ્યું છે.હવે મળેલી આ વૈશ્વિક ઓળખથી સમગ્ર વિસ્તારની પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થયો છે.અંબાજીનો સફેદ માર્બલ હવે માત્ર બાંધકામ સામગ્રી નહીં,પરંતુ ગુજરાતના ગૌરવ, શ્રદ્ધા અને સમૃદ્ધ કલાત્મક વારસાની ઓળખ બનીને વિશ્વભરમાં પોતાની છાપ છોડી રહ્યો છે.







