– ૨૮ વર્ષ બાદ રોડ બનતા વિસ્તારના લોકોમાં ઉત્સાહ સાથે દિવાળી જેવો માહોલ
ભરૂચ,
ભરૂચના મહંમદપુરા વિસ્તારના લોકોની ૨૮ વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને નનુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત માર્ગનું નિર્માણ થતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
ભરૂચ શહેરના વોર્ડ નંબર ૯ અને ૧૦ ને જોડતા મહત્વના માર્ગ એવા નનુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત આર.સી.સી ટ્રિમિક્સ રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.છેલ્લા ૨૮ વર્ષથી આ વિસ્તારનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળતો હતો.જેથી પાલિકા દ્વારા આ માર્ગનું વ્યવસાય વેરાની વર્ષ ૨૦૨૩- ૨૪ ની ગ્રાન્ટ હેઠળ ૪૩,૭૦,૧૫૦ ના ખર્ચે વિશ્વકર્મા કન્સ્ટ્રકશન દ્વારા નવીનીકરણ થતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જે માર્ગનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવતા ભવ્ય સ્વાગત કરવા સાથે લાંબા સમયની સમસ્યાનો ઉકેલ આવતા સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડી, પુષ્પવર્ષા કરીને ધારાસભ્ય અને નગરપાલિકાના પદાધિકારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને રાખીને ગુણવત્તાયુક્ત માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી વાહનચાલકો અને રહીશોને વર્ષોની હાલાકી માંથી મુક્તિ મળશે.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ અને રહીશોએ હાજર રહીને પાલિકાના આ વિકાસલક્ષી કાર્યને વધાવ્યું હતું અને આ વિસ્તારમાં હજુ પણ જે વિકાસના કામો બાકી છે તેને વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ તેમજ નગરસેવકો સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.







