(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમો યોજી વિરોધ થઈ રહ્યો છે. નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામે પણ રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અન્ય જ્ઞાતિના આગેવાનો પણ જોડાયા હતા.
આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન તૃપ્તિબા રાઉલ અને મહેન્દ્રસિંહ રાઠોડે ભાજપને મત ન આપવા અપીલ કરી હતી અને જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 5 લાખની લીડ નહીં મળે સમગ્ર ક્ષત્રિય સમાજ બીજેપી વિરુદ્ધ મતદાન કરશે,આ સંમેલન માં સમાજની મહિલા, પુરુષ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ક્ષત્રિય આગેવાનો એ કહ્યું કે, ક્ષત્રિય સમાજે પોતાની માગ શિસ્તબદ્ધ રીતે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો.પરંતુ, સમાજની માગ સ્વીકારવામાં આવી નથી. ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જેણે પોતાના રજવાડા મા ભારતીને સમર્પિત કર્યા છે જે ભાજપ સરકાર ભૂલી ગઈ છે તેમજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને 5 લાખની લીડ નહીં મળે.કેટલીક જગ્યાએ ભાજપ બેઠક જીતી જશે પણ જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપને હવે યોગ્ય જવાબ મળશે. આ સાથે તેમણે અપીલ કરી કે ચૂંટણીઓ આવે અને જાય પણ સમાજે એક થઈને રહેવાની જરૂર છે,ભાજપને મત ન આપવા ક્ષત્રિય સમાજે સૌકોઈને અપીલ કરી હતી, ગોપાલપુરા માં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન બાદ રાજપૂત સમાજના ઉપસ્થિત સૌ કોઈએ શપથ લીધા હતા.આ શપથમાં એવો નિર્ણય લેવાયો છે કે, અમે બધા સૂર્યદેવની સાક્ષીએ અમારા કુળદેવીની સોગંદ ખાઈને પ્રતિજ્ઞા લઈએ છીએ કે, આ રૂપાલાભાઈએ અમારી બહેન-દીકરીઓની નારી અસ્મિતા પર જે ગંદી ટિપ્પણી કરી અને ચારિત્ર ઉપર કાદવ ઉછાળ્યો છે, તેને અમો રાજપૂત સમાજ ક્યારેય માફ નહીં કરીએ. અમો સોગંદ ખાઈએ છીએ કે ભાજપને ક્યારેય પણ મત નહીં આપીએ અને અમે ભાજપને જ હરાવીશું.