આદુવાળી ચાનું નામ સાંભળતા જ ચા પીવાની ઈચ્છા થવા લાગે છે. સવારે, બપોર કે સાંજે ગમે ત્યારે એક કપ આદુવાળી ચા મળે તો આખો મૂડ ફ્રેશ થઈ જાય છે. ખાસ ઠંડીમાં લોકો ચામાં વધુ આદુ નાખતા હોય છે. શિયાળામાં આદુવાળી ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. જેમકે આદુની તાસીર ગરમ હોવાથી શિયાળામાં આદુવાળી ચા પીવાથી મોસમી રોગમાંથી આરામ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પણ અમુક લોકોને આનાથી નુકસાન પણ થાય છે. જેમકે…
આદુથી એલર્જી હોય તો
કેટલાક લોકોને આદુથી એલર્જી હોઈ શકે છે, જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અથવા સોજો આવી શકે છે. આ સિવાય કેટલીક દવાઓ સાથે આદુનું સેવન કરવાથી એલર્જી વધી શકે છે, ખાસ કરીને જો આદુનું સેવન બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહી ગંઠાઈ જવા જેવી બીમારીઓ માટે લેવામાં આવતી દવાઓ સાથે કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
પેટની સમસ્યા વધી શકે છે
આદુવાળી ચાના વધુ પડતા સેવનથી પેટની સમસ્યા વધી શકે છે. સાથે જ આદુવાળી ચાનું વધુ પડતું સેવન કરવાથી ગેસ, એસીડીટી, પેટમાં દુખાવો કે ઉલટીની સમસ્યા પણ થઈ શકે છે.
લોહી પાતળું કરવાના ગુણધર્મો
આદુમાં કુદરતી રીતે એવા ગુણ હોય છે જે લોહીને પાતળું કરી શકે છે. આવી સ્થિતિમાં, જે લોકો લોહી પાતળું થવાની દવાનું સેવન કરે છે તેમણે પણ આદુવાળી ચાનું સેવન વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ
વાળ ખરવાની સમસ્યા
આદુની ચાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. આદુમાં જોવા મળતા જીંજરોલ નામનું તત્વ વાળના વિકાસને અટકાવે છે અને વાળ ખરવાનું પણ કારણ બની શકે છે.
સર્જરી પહેલા કે પછી પણ સેવન ન કરવું
જો તમે કોઈપણ સર્જરી કરવો છો કે થોડા સમય પહેલા જ કરાવી ચુક્યા છો તો તમારે આ સમયગાળા દરમ્યાન પણ આદુવાળી ચાનું સેવન ન કરવું જોઈએ. કારણે કે આ સમયે દવાના હાઈ ડોઝ લેતા હોય છે. જેના કારણે વધુ પડતી આદુવાળી ચા પીવાથી રીએક્શન પણ આવી શકે છે.
હાઈ બીપીની સમસ્યા હોય તો
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો પણ આદુવાળી ચા પીવાનું ટાળવું જોઈએ. આદુમાં યુરેન નામનું તત્વ હોય છે, જેના સેવનથી શરીરમાં બ્લડ પ્રેશર વધારે છે.
ડિસ્ક્લેમર: આ ફક્ત સામાન્ય માહિતી આપે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.