(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકામાં ગૌચર જ્યાં પશુને ચરવા માટેની જમીનો છે. ત્યાં વખતો વખત દબાણના કિસ્સા કે પછી ગૌચર જમીનોમાં જંગલ કટીંગ ના કિસ્સાની ચર્ચાઓ જોવા મળતી હોય છે.હાલમાં દહેગામ ગામે આવેલ ગૌચર જમીન આશરે 400 વીઘામાં માથાભારે માણસો દ્વારા કબજો કરી તથા તળાવો તોડી ખોદકામ કરી સરકારી જમીન ઉપર ખેતર બનાવેલ હોય,દહેગામના જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવી પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી દબાણો તાત્કાલિક દૂર કરવા માંગ કરી છે.
મુખ્યમંત્રીને ઉદ્દેશી અપાયેલ આવેદનપત્રમાં દહેગામની સરકારી ઢોર ચરણની 400 જેટલા વીંઘા જમીન છે.જે જુદા જુદા સર્વે નંબરોની ગૌચર જમીનો તેની ઉપર ગામના માથાભારે માણસોએ કબજો કરેલ છે.પશુઓને ચરવા કોઈ જગ્યા નથી,પશુપાલન કરતાં ગ્રામજનો, રબારી સમાજના લોકોને ખૂબ જ તકલીફ પડે છે.હાલમાં ગંગવા દહેગામ ગામની સીમમાં આવેલ આગરો વિસ્તાર ત્યાં તળાવો તોડીને તથા પાડાઓ તોડીનેજેસીબી, ટ્રેક્ટર થી મોટા પાયે ખોદકામ કરી મોટું ખેતર સરકારી જમીનો ઉપર બનાવેલ છે.તે જગ્યાની તપાસ કરી તાત્કાલિક દબાણ દૂર કરી દબાણ કરનારા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માંગ કરી છે. અગાઉ આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.છતાં કોઈ નક્કર પગલા કે કાર્યવાહી થયેલ નથી,જેથી ગૌચર જમીનમાં દબાણ કરતાઓમાં સરકારી કાર્યવાહીનો ભય દૂર થઈ ગયેલ છે અને ગામની સીમમાં ખાલી પડેલ જગ્યાઓ પર દબાણ વધારતાં જાય છે.તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અરજ કરી છે.
દહેગામની સરકારી ગૌચર જમીન પર દબાણો દૂર કરવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપતા જાગૃત નાગરિકો
- 400 વીઘામાં માથા ભારે માણસો દ્વારા કબજો કરી તથા તળાવો તોડી ખોદકામ કરી સરકારી જમીન ઉપર ખેતર બનાવેલ જેની સામે કડક કાર્યવાહી કરવા અરજ કરી