(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સિમોદરા ગામ નજીક ધોરીમાર્ગ પરથી પસાર થતી એક મોટર સાયકલ સાથે એક ભુંડ અથડાતા મોટર સાયકલ સવાર દંપતિ મોટર સાયકલ પરથી નીચે પટકાયા હતા.આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મોટર સાયકલ ચાલક આધેડ ઈસમનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના નવા આમોદ ગામે રહેતા કસ્તુરીબેન મનસુખભાઈ વસાવાની દિકરીને ઝઘડિયાની સેવારૂરલ હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરેલ હતી.ત્યાર બાદ રાતના કસ્તુરીબેનના પતિ મનસુખભાઈ વસાવા મોટર સાયકલ લઈને દવાખાને જમવાનું આપવા આવ્યા હતા.ત્યાર પછી દવાખાને દાખલ કરેલ દિકરી સાથે તેની સાસુને રાખીને કસ્તુરીબેન પતિ મનસુખભાઈ સાથે મોટર સાયકલ પર રાતના સાડા નવના સમયે ઝઘડિયાથી નવા આમોદ ઘરે જવા નીકળ્યા હતા.આ લોકો ઝઘડિયાથી આગળ નીકળીને સિમોદરા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે રોડ પર અચાનક આવી ગયેલ એક ભુંડ મોટર સાયકલ સાથે અથડાતા મોટર સાયકલ સવાર પતિ પત્ની નીચે પટકાયા હતા.આ અકસ્માતમાં મોટર સાયકલ ચાલક મનસુખભાઈને માથા મોઢું તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને માથા માંથી લોહી નીકળતું હતું અને બેભાન થઇ ગયા હતા.જ્યારે કસ્તૂરીબેનને પણ ઈજાઓ થઈ હતી.અકસ્માત બાદ રસ્તે જતા આવતા કેટલાક વાહન ચાલકો ત્યાં ઉભા રહ્યા હતા અને તે પૈકી કોઇએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવતા ઈજાગ્રસ્ત પતિ – પત્નીને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા.ત્યાર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખાતે લઈ જવાયા હતા.જ્યાં સારવાર દરમ્યાન ૫૨ વર્ષીય મનસુખભાઈ છીતુભાઈ વસાવાનું મોત થયું હતું.અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકની પત્ની કસ્તુરીબેન મનસુખભાઈ વસાવા રહે.નવા આમોદ તા.ઝઘડિયા જી.ભરૂચનાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
ઝઘડિયાના સિમોદરા ગામ નજીક મોટર સાયકલ સાથે ભુંડ અથડાતા ઈજાગ્રસ્ત થયેલ બાઈક ચાલકનું મોત
- નવા આમોદના પતિ - પત્ની રાતના ઝઘડિયાથી ઘરે પાછા ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો