– આવેદનપત્ર આપવા આવેલા ૩૦ થી વધુ લોકોની અટકાયત કરાઈ
ભરૂચ,
આમોદ નગરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની,પાણીની પાઈપલાઈન તૂટવાની,તેમજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતા ટેમ્પાની સમસ્યા સામે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે આમોદના વોર્ડ નં.૩ ના વણકરવાસમાં વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો નહીં આવતા ગંદકીથી પરેશાન બનેલા યુવા નેતાએ પોતાના ઘરનો કચરો આમોદ પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટરની કચેરીમાં ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો.જે બાબતે સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા યુવા કૉંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપવી,સરકારી કામમાં અડચણ ઉભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવી હતી.જેથી આજરોજ આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર તથા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાની પ્રક્રિયા દરમિયાન પોલીસે આમોદ ચોકડી ઉપર એકત્રિત થયેલા કોંગ્રેસના અનેક કાર્યકરોને અટકાયત કરી લીધા હતાં. બાદમાં કોંગ્રેસના પાંચ આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશ આપી કોંગ્રેસી આગેવાનોએ મામલતદાર ડૉ.મયુર વરીયાને આવેદનપત્ર આપ્યું હતું.તેમજ મુખ્ય અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આમોદ નગરમાં કચરો ઉપાડવા માટે ટેમ્પો ન મોકલાતા નાગરિકોને થતી સમસ્યાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસી કાર્યકર કેતન મકવાણા ઉપર થયેલી એફ.આઈ.આર.રદ કરવા તથા સંબંધિત મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી.
આ આવેદનપત્ર આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી,આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી,આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કોંગ્રેસના આગેવાનો તથા નાગરિકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો પાણી, ગટર જેવી મૂળભૂત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.







