– કમોસમી વરસાદથી જીલ્લામાં એક લાખથી વધુ ખેડૂતોને અસર
ભરૂચ,
રાજયમાં કમોસમી વરસાદથી ખેતીને થયેલાં નુકસાન માટે ૧૦ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.રાહત પેકેજનો લાભ મેળવવા માટે ૧૪ મી નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના આજદિન સુધીમાં ૧૭ હજારથી વધુ ખેડૂતો સહાય માટે ઓનલાઈન નોંધણી કરી ચૂક્યા છે.
રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે.કમોસમી વરસાદના અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય માટેની ઓનલાઈન નોંધણી ૧૪ મી નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે.શરૂઆતમાં સર્વરની સમસ્યા રહ્યા બાદ બીજા દિવસથી ખેડૂતો ગ્રામ્ય સ્તરે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા થતા ખેડૂતોને રાહત થઈ હોવાનું જણાવી રહ્યા છે.બીજી બાજુ ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી પણ આ સમગ્ર પ્રક્રિયાનું મોનીટરીંગ કરી તેની માહિતી મેળવી રહ્યા છે.
ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ આ અંગે જણાવ્યું હતું કે જિલ્લામાં બે લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેમાંથી ૧.૩૫ લાખ હેક્ટરના પાકને કમોસમી વરસાદના પગલે નુકસાન થયું છે.જેમાંથી એક લાખથી વધુ ખેડૂતો અસરગ્રસ્ત થયા છે.જેઓને સરકારની સહાય માટે માર્ગદર્શન આપવા સાથે જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ૧૪ મી નવેમ્બરથી શરૂ થઈ છે અને ૧૭ નવેમ્બર સુધીમાં ૧૭ હજાર જેટલા ખેડૂતોની નોંધણી થઈ ચૂકીં છે અને જે ખેડૂતો બાકી છે તેઓ વહેલી તકે ઓનલાઈન અરજી કરે જેથી તેઓને સહાય સમયસર મળી શકે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.







