ભરૂચ,
આગામી તા.૭મી મે ના રોજ ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગ સહિત રાજ્યભરમાં સવારે ૭.૦૦ વાગ્યાથી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી લોકસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે.ત્યારે જિલ્લામાં લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સર્વે મતદારોને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ કરી હતી.
કલેકટરે જણાવ્યું હતું કે, દેશના પુખ્ત વયના નાગરિકોને મળેલો મતાધિકાર એ ભારતીય ચૂંટણી પંચની દેશવાસીઓને એવી ભેટ છે જે અધિકાર વિશ્વના ૨.૫ ટકા લોકોને મળ્યો નથી. માત્ર લોકશાહી શાસન-વ્યવસ્થામાં જ નાગરિકો સાચા અર્થમાં આ અધિકાર ભોગવતા હોય છે,કારણ, લોકશાહી સરકાર લોકો દ્વારા ચૂંટાય છે.જેથી સૌ મતદારોએ ગર્વ લેવો જોઈએ કે આપણે સૌ આગામી તા.૭મીએ ભારતીય ચૂંટણી પંચે સૌ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનવામાં અને મતાધિકારનો ઉપયોગ કરવાની ગૌરવભરી તક પૂરી પાડી છે.
મતદાન કરવું આપણી ફરજ પણ અને જવાબદારી પણ એમ જણાવે કલેક્ટરે તમામ મતદારોને અચૂક મતદાનની અપીલ કરતા કહ્યું કે, આપણો એક એક વોટ વોટ આપણું અને દેશનું ભવિષ્ય નિર્માણ કરે છે. આગામી તા.૭મીએ લોકસભા ચૂંટણીઓમાં ઉત્સાહથી સામૂહિક રીતે મતદાન કરીએ. ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દેશનો ગર્વ છે, ત્યારે ચૂંટણી પંચનું વિઝન છે કે No Voter to be left behind’ – એક પણ મતદાર મતદાન કર્યા વિના બાકી ન રહે.જેને અનુસરી લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ નિભાવવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
ભરૂચ જીલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ મહત્તમ અને અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાવાની કરી અપીલ
- મતદાન કરવું આપણી ફરજ પણ અને જવાબદારી પણ : જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા