(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા લોકસભા સામાન્ય ચૂંટણીના કાર્યક્રમ અન્વયે તા.૭ મી મેના રોજ નર્મદા જિલ્લામાં યોજાનારા મતદાન અંતર્ગત નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારીઅને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ આજે નર્મદા જિલ્લા સેવા સદન કચેરીનાં પ્રાંગણમાં સ્વીપ અંતર્ગત “રન ફોર વોટ” માટે યોજાયેલી મતદાર જાગૃત્તિ રેલીને પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીએ લીંલીં ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલીમાં નાયબ કલેકટર (તાલીમી) મુસ્કાન ડાગર, ૨૧-છોટાઉદેપુર મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકરી અને નાંદોદ પ્રાંત અધિકારી ડૉ.કિશનદાસ ગઢવી, સ્વીપનાં નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નિશાંત દવે,જિલ્લા રમતગમત અધિકારી વિષ્ણુભાઈ વસાવા પણ જોડાયા હતા.
“રન ફોર વોટ” જનજાગૃત્તિ રેલીમાં રાજપીપલાના વિવિધ વિભાગનાં સરકારી અધિકારીઓ/કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીનીઓ આ રેલીમાં જોડાયા હતા. જિલ્લા સેવા સદનના કચેરીનાં પ્રાંગણથી પ્રારંભાયેલી મતદાન જાગૃત્તિ બેનર્સ સાથેની આ રેલી સંતોષ ચોકડી, સફેદ ટાવર અને ધાબા ગ્રાઉન્ડ સુધી પહોચી હતી અને મતદાર જાગૃત્તિનાં બેનર્સ-પ્લેકાર્ડ સાથે મતદારોને તેમનાં કિંમતી મતની અગત્યતા સાથે તા.૭ મી મે, ૨૦૨૪ના રોજ તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો.
મતદાર જાગૃત્તિ રેલીમાં “હું છું જાગૃત નાગરિક હું અવશ્ય કરીશ મતદાન”, “મતદાર જાગૃતિ દેશની પ્રગતિ”, “૭મી મેના રોજ ગુજરાત કરશે મતદાન”, “લોકશાહીનું કરીએ જતન, મતદાન અવશ્ય કરીશું એવુ આપીએ વચન”, વગેરે જેવા બેનર્સ-પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો અને તા.૭ મી મે ગુજરાતમાં સમગ્ર નર્મદા જિલ્લો પણ અચૂક મતદાન કરશે તે માટે જિલ્લાના મતદાતાઓને સંકલ્પબધ્ધ કરાયા હતા.
રાજપીપલામાં અચૂક મતદાનના સંદેશા સાથે “રન ફોર વોટ” જનજાગૃત્તિ રેલી યોજાઈ
- ૭ મી મેના રોજ સમગ્ર નર્મદા જિલ્લો પણ કરશે અચૂક મતદાનનો સંદેશો