દેડિયાપાડા તાલુકાના એક ગામની સગીરા ઉપર ગામના જ યુવકે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની જાણ સગીરાના પરિવારને થતાં તેના પિતાએ નરાધમ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દેડિયાપાડા તાલુકાના એક ગામમાં રહેતા ગરીબ પરિવારની સગીર દીકરીના પિતાએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.૧૭ના રોજ મધરાત્રે તેમની સગીર દીકરી ઘરેથી કુદરતી હાજતે જવા ઘરની બહાર નીકળી હતી. તે સમયે ગામમાં રહેતાં યુવાને તેની એકલતાનો લાભ લઈ તેને બળજબરીથી ખેંચીને નજીકના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરાને મારી નાખવાની ધમકી આપી તેની સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું.
તેમજ આ બાબતે ઘરમાં કોઈને જાણ નહી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સગીરા ઘરે આવતાં પરિવારને આ બાબતે જાણ કરી હતી. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે નરાધમ સામે પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નરાધમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.