રાષ્ટ્રીય નેતા સ્વ.અહમદભાઈ પટેલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલી અને શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવતા પૂર્વ વિદેશ મંત્રી તેમજ પ્રદેશના નેતા સહિત સ્થાનિક કોંગી નેતાઓ જોડાઈ તેઓને પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના નાનકડા એવા પિરામણથી પાર્લામેન્ટ સુધીની સફળ સાર કરનાર અને પિરામણ ગામને દેશમાં ગુંજતું કરનાર એવા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સ્વ.અહમદભાઈ પટેલની ત્રીજી પુણ્યતિથી નિમિત્તે અંક્લેશ્વર ખાતેના પિરામણ ગામમાં આવેલ કબ્રસ્તાનમાં તેઓની કબર ઉપર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવતા સ્વ.અહમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ,પુત્રી મુમતાઝ પટેલ સહિત પૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ,માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી,વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા,જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા સહિત જીલ્લાના આગેવાનો અને કાર્યકરો સહીત લોકો જોડાયા હતા.જે બાદ HMP ફાઉન્ડેશન ખાતે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં તેની તસ્વીરને મહેમાનો દ્વારા પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ વિવિધ સમાજના લોકો દ્વારા સદ્દભાવના પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે જણાવ્યુ હતુ કે સ્વ.અહમદભાઈ પટેલ આજે અમારા વચ્ચે છે જ નથી તેમ લાગી રહ્યું છે.પોતાના પરિવાર થી વધુ પરિવાર તેઓએ બનાવ્યું હતું.તેઓ જેવા હવે કોઈ વ્યક્તિ નહિ આવી શકે.કોંગ્રેસમાં તેઓની જે જગ્યા હતી તે રહેશે.
તો પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ જણાવ્યુ હતું કે સ્વ.અહમદભાઈ પટેલની ત્રીજી પુણ્યતિથી છે પરંતુ હજુ પણ કોઈનું મન માનતું નથી કે તેઓ અમારી વચ્ચે નથી.રાજનીતિ માં લોકો આવે છે અને જાય છે અને પોતાના યુગનું કામ કરી નીકળી જતા હોય છે.આજે વ્યક્તિગત અને સામૂહિક રીતે દિલ્હી હોય કે ગુજરાત હોય તેઓની જગ્યા કોઈ લે તેવું પ્રેમાળ વ્યક્તિત્વ આજે મળવું મુશ્કેલ છે.
સ્વ.અહમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે શાળા હોય કે કોઈ માર્ગ હોય તમામ જગ્યાએ તેઓએ પોતાની ગ્રાન્ટ આપી છે.જ્યાં જઈએ ત્યાં તેઓની છાપ જોવા મળી રહી છે.તેઓની યાદ હંમેશા રહેશે અને તોએ ક્યાંક ને ક્યાંક વ્યસ્તછે અને જલદીથી આવશે.