ભરૂચ,
લોકશાહીના મહાપર્વ ચૂંટણીને ઉત્સાહ અને ઉમંગ સાથે ભરૂચ જીલ્લાના મતદારોએ મનાવ્યું હતું.આકાશ માંથી વરસતા અગન ગોળા છતાં મતદારોમાં મતદાનનો અનેરો ઉત્સાહ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો હતો.
લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં ભરૂચ બેઠક માટે મતદાન યોજાયું હતું.ઉમેદવારોના ભાવિ નક્કી કરવાના ભાગરૂપે મતદાન મથકો ઉપર મતદારોએ સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મોટી માત્રામાં મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર મતદારોએ મતદાન કર્યું હતું.ઉમેદવારોના વિજયી દાવા વચ્ચે ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થતાં હવે ૪ જૂનની મતગણતરી બાદ પરિણામ જાણી શકાશે.
ભરૂચ લોકસભા બેઠકની ઉપર ૧૩ ઉમેદવારોના ભાવીને નક્કી કરતા ભરૂચ જીલ્લાના ૧૮૯૩ મતદાન મથકો ઉપર મતદારોએ પોતાના મતા અધિકારનો ઉપયોગ કરવા માટે સવારથી જ કતારમાં જોવા મળ્યા હતા.ભરૂચ શહેરના અનેક સ્થળોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વૃદ્ધોથી માંડી યુવાન યુવતીઓ પણ પ્રથમ વખત મતદાન કરવા ઉત્સાહિત જણાયા હતા. લોકશાહીના મહાપર્વ ચૂંટણીને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.જેના ભાગરૂપે મતદારોએ પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું.સવારના પ્રથમ કલાકમાં ૧૦ ટકાથી વધુ મતદાન નોંધાયા બાદ સતત ઉંચી જતાં સાંજના પ સુધીમાં તો ૬૩.૫૬ ટકા થઈ હતી.જે જોતા અંતિમ ટકાવારી ૭૦ ટકાથી ઉપર રહે તેમ અનુમાન લગાવાઈ રહ્યું છે.મતદાનની ટકાવારી જોતાં સાંજના પ સુધીમાં ભરૂચ બેઠકના દેડિયાપાડામાં સૌથી વધુ ૭૮.૬૩ ટકા,ઝઘડીયામાં ૭૦.૦૧ ટકા મતદાન નોંધાયું હતું.ભરૂચ બેઠકની ૭ બેઠકો પૈકી સૌથી વધુ મતદાન આદિવાસી મતદારોના વર્ચસ્વ વાળી આ બન્ને બેઠકો પર જોવા મળ્યું હતું.તો અન્ય પ બેઠકોના મતદાનની ટકાવારી પર નજર કરતા સાંજના પ સુધીમાં કરજણમાં ૬૨.૧૩ ટકા, વાગરામાં ૫૫.૧૦ ટકા, જંબુસરમાં ૫૮.૨૯ ટકા, અંક્લેશ્વરમાં ૫૯.૩૮ ટકા અને ભરૂચમાં સૌથી ઓછું ૫૫.૫૫ ટકા મતદાન નોંધાયું હતું.
આમ ભરૂચ અને અંક્લેશ્વર જેવા શહેરી વિસ્તારો કરતા નાના નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં વધુ જાગૃતતા જોવા મળી રહી હતી.જોકે અંતિમ કલાકોમાં મતદાનની ટકાવારી ઉંચી જઈ શકે છે.ગ્રામ્ય વિસ્તારનું વધુ મતદાન કોણા લાભમાં રહે છે તે જોવું રહ્યું.હાલ તો ઉમેદવારો પોત પોતાના ગણિત માંડી વિજયી દાવા કરી રહ્યા છે.ત્યારે ૪ જૂનની મતગણતરી બાદ જ જાણી શકાશે કે કોણા દાવામાં દમ છે.