ભરૂચ,
લોકસભાની ચૂંટણી વચ્ચે દાહોદનો સોપારીનો વેપારી બેગમાં રોકડા ૨૭ લાખ સાથે ભરૂચ રેલ્વે પોલીસના હાથે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ઝડપાઈ ગયો હતો.જેની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ રેલ્વે પોલીસે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પરથી રૂપિયા ૨૭ લાખ રોકડા સાથે એક ઈસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. હરિદ્વાર – વલસાડ ટ્રેન માંથી અંક્લેશ્વર સ્ટેશન પર એક વ્યક્તિ બેગ સાથે ઉતરતા તેની શંકાસ્પદ હિલચાલથી રેલ્વે પોલીસે તેને ઊભો રાખી તલાસી લીધી હતી.
તેની બેગ માંથી ૫૦૦-૫૦૦ ની નોટોના બંદલ મળી કુલ રોકડા ૨૭ લાખ મળી આવ્યા હતા.તેની પ્રાથમિક પૂછતાછ કરતા તે મૂળ દાહોદનો યોગેશ ટેકચંદ પ્રીતમાણી હોવાનું બહાર આવ્યું હતું.તેમજ તે સોપારીનો વેપારી હોવાનું અને અંકલેશ્વરમાં કોઈ વેપારીને પૈસા આપવા આવ્યો હોવાનું પણ જણાયું હતું.
રેલ્વે પોલીસે હાલ 41(1) ડી મુજબ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી છે.આગળની તપાસ રેલવે PSI જે.બી મીઠાપર ચલાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની અમલી આચારસંહિતા વચ્ચે આટલી મોટી રકમ રોકડ સ્વરૂપે મળી આવતા પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.